

ભારતના રાષ્ટ્રગીત ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂર્ણ થતાં સંસદના શિયાળુ સત્રમાં એક ખાસ ચર્ચા યોજાશે. લોકસભામાં આ અઠવાડિયે ગુરુવાર અથવા શુક્રવારે 10 કલાકના સમય માટે ચર્ચા થશે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે. આ ચર્ચામાં સ્વતંત્રતા સંગ્રામના આ પ્રેરણાદાયી ગીતના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પર પ્રકાશ પાડવામાં આવશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ દ્વારા 30 નવેમ્બરના રોજ બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં તેમજ લોકસભા અને રાજ્યસભાની વ્યાપાર સલાહકાર સમિતિઓ(BACs)ની બેઠકોમાં આ પ્રસ્તાવ પર સંમતિ સધાઈ હતી. શાસક પક્ષોના સભ્યોએ રાજ્યસભામાં પણ તેની જોરદાર હિમાયત કરી હતી. સરકારે તેને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક ગણાવીને તમામ પક્ષોને ભાગ લેવા આમંત્રણ આપ્યું હતું. NDA સભ્યોએ રાજ્યસભામાં વંદે માતરમ પર ચર્ચા માટે પણ જોરદાર હિમાયત કરી હતી. ‘વંદે માતરમ’ને 1950માં ભારતીય પ્રજાસત્તાકના રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. જેને 1870ના દાયકામાં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા સંસ્કૃત-બંગાળીમાં લખવામાં આવ્યું હતું. આ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની બંગાળી નવલકથા આનંદમઠનો એક ભાગ છે, જે સૌપ્રથમ 1882માં પ્રકાશિત થઈ હતી. આ ગીત ભારતીય સ્વતંત્રતા ચળવળ માટે પ્રેરણાનો મુખ્ય સ્ત્રોત બનેલું. ગીતની રચનાની 150મી વર્ષગાંઠ નિમિત્તે, કેન્દ્ર સરકારે એક ખાસ સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી. પીએમ મોદીએ તાજેતરમાં વંદે માતરમને સ્વતંત્રતા સંગ્રામનો અમર વારસો ગણાવ્યો અને યુવાનોને તે ગાવાની અપીલ કરી હતી.


